કવિ છગન શાકમારકિટમાં – અનિલ જોશી. ( 28-07-1940 )
July 27, 2006 at 8:07 pm 4 comments
એક સવારે થેલી લઇને છગનો નીકળ્યો બહાર રે …
પંદર કિલો સૂરણ લીધું, આઠ કિલો જુવાર રે …
મારકિટેથી પાછા વળતાં ચંપલપટ્ટી તૂટે રે …
મોચી – દર્શન પ્યાસી અખિયાં, મારગડો ના ખૂટે રે …
દસે દિશાથી હૉર્ન વાગતાં વાહન સઘળાં થંભે રે …
ટ્રાફિક જામનું કારણ થઇને છગન પડ્યો ખોરંભે રે …
અગડંબગડં ચાલ ચાલતો ટ્રાફિકના હડસેલે રે …
ટેલિફોનના વાયરછાંયે પોરો ખાવા બેસે રે …
થેલી મૂકી, ચશ્માં લૂછ્યાં, કરી ચૂંચરી આંખ રે …
વૃક્ષ વગરના ગામે જાણે ખગની ફફડે પાંખ રે …
પવન હલાવે કાગળિયાં એમ છગન હલાવે પગ્ગ રે …
સૂરણસોતી થેલી ઊંચકી ચાલ્યો ડગડગ પગ્ગ રે …
એક હાથમાં થેલી સોહે બીજા હાથમાં આંટો રે …
ઊભી બજારે છગનો જાણે હોય વજનનો કાંટો રે …
છગન પગરખાં ઘસડી ચાલે, લોક મળે તે પૂછે રે …
’કેમ છગનિયા, પરસેવો નીતરે છે તારી મૂછે રે’ …
છગન ખભાથી પરસેવો લૂછીને આગળ ચાલે રે …
તરબૂચવાળો બરકે : ‘લઇ જા, પૈસા આપજે કાલે રે’ …
એવામાં એક કૂતરું દોડ્યું, છગન ભયો લાચાર રે …
લોક શિખામણ દેવા દોડ્યા : આનો એક ઉપચાર રે …
કૂતરું મળતાં શાણા થઇને પકડી લેવી ચૂપ રે …
‘હૈડ’ કહેતાં જે ખસે નહીં ઇ કૂતરું જોખમીરૂપ રે …
ઊંટ ઉપર છેલ્લાં તરણાં શી મળી શિખામણ ભારે રે …
ઓબ્જેક્ટિવલી ભફાંગ દઇને પડ્યો છગન્ન બજારે રે …
છગન કહે : ‘હું લૉસ્ટ પ્રોપર્ટી જેમ પડ્યો સરનામે રે …
ખાતરી આપી કોઇ ન આવ્યું લેવા મને ગોદામે રે’ …
આ અમથા ઊડતા પતંગિયાનો નહીં હવાને ભાર રે …
સૂરણગાંઠ્યું ભેગી કરીને મેં સરજ્યો સંસાર રે …
છગનભારથી છગન પડે તો એમાં કોનો વાંક રે …
શબ્દોના તાંદુલ ખંખેરી બની જાઉં અવાક રે …
Entry filed under: કવિતા. Tags: .
1.
જયશ્રી | July 28, 2006 at 5:03 am
મોચી – દર્શન પ્યાસી અખિયાં, મારગડો ના ખૂટે રે …
ટેલિફોનના વાયરછાંયે પોરો ખાવા બેસે રે …
મજા આવી ગઇ..
સરસ હાસ્ય કાવ્ય છે.
2.
shivshiva | July 28, 2006 at 9:53 am
અમિત
મઝા આવી ગઈ
નીલા
3.
સુરેશ જાની | July 29, 2006 at 11:01 am
આ અમથા ઊડતા પતંગિયાનો નહીં હવાને ભાર રે …
સૂરણગાંઠ્યું ભેગી કરીને મેં સરજ્યો સંસાર રે …
છગનભારથી છગન પડે તો એમાં કોનો વાંક રે …
શબ્દોના તાંદુલ ખંખેરી બની જાઉં અવાક રે …
કવિતા વાંચતાં થયું કે આમાં કવિ શું કહેવા માંગે છે? માત્ર શબ્દ ચિત્ર? પણ આ છેલ્લી પંક્તિઓ વાંચીને કવિ માટે અનહદ માન ઉપજ્યું .
‘શબ્દોના તાંદુલ’ લખીને તો કવિ કેટલું બધું કહી જાય છે? સુદામા અને પોતાની અભિવ્યક્તિની દરિદ્રતા , શબ્દની ય પેલે પારની અનભિપ્રેત કૃષ્ણને જોઇ કવિને પ્રાપ્ત થતી અવાકતા …
બહોત ખૂબ.
અનિલ જોશીની આંગળી પકડીને કાવ્ય જગતમાં ચાલતાં શીખેલો કવિ તે રમેશ પારેખ.
4.
manvant | July 30, 2006 at 2:38 am
આ કાવ્ય કુતૂહલ ઉપજાવતા જઈ રસિક બન્યું છે.
કવિ અને તંત્રીનો આભાર !