Archive for નવેમ્બર 16, 2006
…શું રે જવાબ દઇશ માધા ? – ઇસુભાઇ ગઢવી
દ્વારકામાં કોઇ તને પૂછશે કે,
કાના ઓલી ગોકુળમાં કોણ હતી રાધા….. ?
તો શું રે જવાબ દઇશ માધા…..?
તારું તે નામ તને યાદ નો’તું તે’દિથી,
રાધાનું નામ હતું હોઠે.
ઠકારાણાં-પટરાણાં કેટલાય હતા તોયે,
રાધા રમતી’તી સાત કોઠે
રાધાવિણ વાસંળીનાં વેણ નહીં વાગે
શીદને સોગંધ એવા ખાધા…..?
તો શું રે જવાબ દઇશ માધા…..?
રાધાના પગલામાં વાવ્યું વનરાવન –
ફાગણ બનીને એમાં મહેક્યો,
રાધાના અકેકા શ્વાસ તણે ટોડલે
અષાઢી મોર બની ગહેક્યો,
આજ આઘેરાં થઇ ગ્યાં કાં રાધા ને વાંસળી
એવા તે શું પડ્યા વાંધા…..?
તો શું રે જવાબ દઇશ માધા…..?
ઘડીકમાં ગોકુળ ને ઘડીક વનરાવન,
ઘડીકમાં મથુરાના મહેલ
ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીઓ,
ઘડીક કુબ્જાની સંગ ગેલ
હેત પ્રીત ન્હોય રાજ ખટપટના ખેલ કાન
સ્નેહમાં તે હોય આવા સાંધા…..?
તો શું રે જવાબ દઇશ માધા…..?
“કૃષ્ણનો જવાબ”
“ગોકુળ વનરાવન ને મથુરા ને દ્વારકા
એ તો પંડ્યે છે પહેરવાના વાઘા,
રાજીપો હોય તો અંગ પર ઓઢીએ
નહીં તો રખાય એને આઘા,
આ સઘળો સંસાર મારા સોળે શણગાર
પણ અંતરનો આતમ એક રાધા…..
હવે પૂછશો મા કોણ
હતી રાધા….. ?”
મિત્રોના પ્રતિભાવ