Archive for જાન્યુઆરી 18, 2007
DISTANCE – વિપિન પરીખ
એક સાંજે
ટ્રેનના ચાલ્યા ગયા પછી
રેલવેના પાટા અરસપરસ પૂછતા હતા :
‘બે માણસને એકબીજાથી દૂર કરવા માટે
કેટલું DISTANCE જોઇએ ?’
તેં – કરસનદાસ લુહાર.
એક લીલા પાંદ પર તેં વહાલ વરસાવ્યું હશે !
એ પછી આંગણ સુધી જંગલ ધસી આવ્યું હશે !
આંહીનો અંધાર મારો સૌમ્ય, હરિયાળો થયો ;
તુલસી ક્યારે કોડિયું તેં હમણાં પ્રગટાવ્યું હશે !
જે જગાથી આપણે લઇને તરસ છૂટાં પડ્યાં ;
એ જગા જોવા પછી કોઇ ઝરણ આવ્યું હશે !
ચાર અક્ષર જેટલું અંતર સહેવાયું નહીં ;
એટલે તેં છૂંદણાંમાં નામ ત્રોફાવ્યું હશે !
મારું નિર્જળ શહેર આખું પાણીપાણી છે હવે !
પત્રમાં સરિયામ ચોમાસું તેં ચીતરાવ્યું હશે !
મિત્રોના પ્રતિભાવ