Posts filed under ‘કવિતા’
ગુમાવીને :: કિરણ ચૌહાણ
અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઇને જઇ શક્યું દરિયો ઉઠાવીને !
હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે ?
કે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને !
હજી ઇશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે,
બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને.
ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી છે,
હું તેથી રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.
કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,
ગમે ત્યાં જઇ શકાતું હોય છે મસ્તક ઉઠાવીને.
ઘણું જીવે, છતાં પણ કોઇ નક્કર કામ ના આપે,
ઘણાં આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને…..
આસપાસ :: અંકિત ત્રિવેદી
તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…..
ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…..
સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી ;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…..
માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે ;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…..
તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…..
યાદ :: નિનાદ અધ્યારુ
એક નામ યાદ આવે, એક ગામ યાદ આવે,
એ યાર, એ મહોબ્બત, એ શામ યાદ આવે.
એ હોઠ, એ તડપ, એ ખુમાર, એ જવાની,
એક રાત યાદ આવે, એક જામ યાદ આવે.
આવે છે યાદ એની બસ એટલું હું જાણું,
પૂછો નહીં કે ક્યારે, શું કામ યાદ આવે.
બે દિલને જ્યારે મળતો હું જોઉં છું કદી તો,
મુજને મારા પ્રણયનો અંજામ યાદ આવે.
ભૂલી જવાય માણસ આખેઆખો પરંતુ,
માણસની બાદ માણસનું કામ યાદ આવે.
હું ભુલવા મથું છું દિવસ ને રાત જેને,
‘નિનાદ’ એ જ ચહેરો બેફામ યાદ આવે.
બીજું શું ? :: ખલીલ ધનતેજવી
ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું ?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ?
આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું ?
માફ કરો, અંગૂઠો મારો નહિં આપું,
મારું માથુ કાપી લેજો બીજું શું ?
વાંકુસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું ?
પરસેવાની સોડમ વચ્ચે પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું ?
લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કહે છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું ?
આજે અમને દાદ ન આપો કાંઇ નહિ,
આજે અમને સાંખી લેજો બીજું શું ?
હાઇકુ :: પન્ના નાયક.
આવ લગીર
બેસ , પતંગિયાના
પડછાયામાં.
અંગત વાતો
ભીતરની, સાંભળે
કોઇની આંખ.
સપને મળો
તો નહીં વગોવાય
પ્રેમ આપણો.
તું લખ ગઝલ :: આહમદ મકરાણી
વેદ ને કુરાનની વાતો પછી –
જાત જો સમજાય તો તું લખ ગઝલ…
શ્રી આહમદ મકરાણી સાહેબના ચોથા ગઝલ સંગ્રહ “તું લખ ગઝલ” નું વિમોચન
તા. 10-1-2009 નાં રોજ , ઉપલેટા ખાતે યોજાઇ ગયુ…
શ્રી ગોવિંદ ગઢવી ‘સ્મિત’ ,તેઓશ્રીએ મુશાયરાનો દોર બહુ સરસ રીતે સંભાર્યો હતો…
મુશાયરાના અધ્યક્ષ શ્રી પ્રફુલ્લભાઇ નાણાવટી સાહેબે કહ્યુ કે ગુજરાતી ગઝલનાં
ઇતિહાસમાંથી ફક્ત 10 શેર ચુંટવાના થાય તો ….. શ્રી મકરાણી સાહેબનો આ શેર
તેમાં અચુક સ્થાન પ્રાપ્ત કરે…
અચાનક ફરીથી જ મા યાદ આવી,
બધાંયે દરદની દવા યાદ આવી…
આ પ્રસંગે આવેલ મહેમાનો માં શ્રી પ્રફુલ્લ નાણાંવટી, શ્રી ગોવિંદ ગઢવી,
શ્રી દેવેન શાહ, શ્રી અંજુમ ઉઝયાન્વી, શ્રી ઉર્વીશ વસાવડા, તથા
શ્રી મીરા આસિફ, સૌએ પોતપોતાની હ્રદયાકૃતિઓથી
રસિક શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા…
અહીંના એટલે કે ઉપલેટાનાં શબ્દલોકનાં સ્થાનિક કવિઓએ પણ મુશાયરામાં બહુ જ
સુંદર રંગ જમાવ્યો હતો…
શ્રી મકરાણી સાહેબ ના નૂતન ગઝલ સંગ્રહમાંથી હાલો હવે માણીએ
એક સુંદર રચના…
લટથી…
નજરને હટાવી લીધી એ તરફથી ;
અહીં આંગળાં દાઝવાનાં બરફથી.
પછી જંગલે એક અફવા ઊડી છે ;
મદારી જ પોતે ડરે છે સરપથી.
નહીંતર આ સહરા તપે આટલું ના ;
તપી એ ગયો છે સદા કૈસ-તપથી.
રહે આંગળાં એમ ફરતાં ભલેને ;
ન પકડાય ક્યારેય એ માત્ર જપથી.
ન તલવારનો ખપ, ન ખંજર ખપે છે ;
ઘણાં દિલ હણાતાં અહીં એક લટથી…
યાદ નો સંગાથ :: આહમદ મકરાણી.
રંગ જોયો – રાગ જોયો ને મને ના ;
ફૂલ જોયાં, બાગ જોયો ને મને ના.
ઊંબરે ઊભો હતો વરસો લગી હું ;
રેખ જોઇ, હાથ જોયો ને મને ના.
ડાઘ લૈ કેવા અહીં ફરતો રહ્યો છું ;
વસ્ત્ર જોયા, ઘાટ જોયો ને મને ના.
જિંદગીભર ઝંખના કરતો રહ્યો છું ;
શ્વાસકેરો સાથ જોયો ને મને ના.
આ મિલનનો પણ અહીં ઉત્સાહ ક્યાં છે !
યાદનો સંગાથ જોયો ને મને ના.
ગઝલ બને :: આહમદ મકરાણી.
દિલ અમારું કોઇ તોડે તો ગઝલ બને ;
છાતી ઉપર ક્રોસ ખોડે તો ગઝલ બને.
મસ્ત્ય માફક જિંદગી અવકાશમાં ફરે ;
કોઇ તાતાં તીર છોડે તો ગઝલ બને.
હોય સૂતા સોડ ઓઢી મૌન-પીર તો-
શબ્દશ્રીફળ કોઇ ફોડે તો ગઝલ બને.
સાવ સીધાં ને સરલ મોજાં નથી ગઝલ ;
જાતને ઊંડે ડૂબાડે તો ગઝલ બને.
છે ઇબાદત, બંદગી, બંદાતણું નમન ;
ઇશ સાથે જાત જોડે તો ગઝલ બને.
તેમના પરિચય માટે અહીં ક્લીક કરો…
તેમનો નવો ગઝલ સંગ્રહ ‘તું લખ ગઝલ’
મેળવવા અહીં સંપર્ક કરો…
શ્રી આહમદ મકરાણી,
‘મા મરિયમ મંઝિલ’
ગુરુનાનક શેરી,
સિંધી માર્કેટ પાસે,
ઉપલેટા : 360490
મો.: 98792 47509.
વિરાસત ફૂલની :: મીરા આસીફ.
ગત મહિને અમો એ શબ્દલોકમાં
ભાવનગરનાં કવિશ્રી મીરા આસિફ ને માણ્યાં હતાં…
ચિત્રમાં – જમણીબાજુથી શ્રી રાણીંગાસાહેબ, આમંત્રિતમહેમાન શ્રી મીરા આસિફ અને
શ્રી મકરાણી સાહેબ તથા રસિક શ્રોતાગણ…
કેમ સમજાવું નજાકત ફૂલની ?
યાદની મોસમ ઇનાયત ફૂલની !
એમને ઘેરી વળ્યાં કાંટા છતાં,
કેટલી મ્હેકેં વિરાસત ફૂલની !
સ્પર્શવાને વલવલે આઠે પ્રહર,
કેમ કરવી લે હિફાઝત ફૂલની ?
વાત મારી એજ આખર એજ છે,
કોઇના સમજે ઇબાદત ફૂલની !
રોજ જે અણસાર થઇ ખીલ્યા કરે,
એજ તો ગમતી કરામત ફૂલની !
આપણું મળવું હવે મુશ્કેલ છે,
ભીંત જેવી છે અદાવત ફૂલની !
આભાર…
શ્રી ભગવતસિંહજી…
શ્રી ભગવતસિંહજીની જન્મતિથિ નિમિતે…
ગોંડલનું ‘ વિહારી’ કૃત રાજગીત ::
ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ,
નંદનવન અણમોલ –
વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય,
ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય.
સારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ,
નીર નિરંતર વહે અખંડિત, ગોરસ રસની રેલ.
કૃષ્ણકૃપા છે કણ કણસલે મઘુવન મીઠાં વૃક્ષ,
કુંજ નિકુંજ શાં ખેતર વાડી સુંવાળાં સુરક્ષ.
રિદ્ધિ સિદ્ધિ શ્રી ભગવતની સુખ-શાંતિનાં રાજ્ય,
પશુ પંખીજન ઝાડને પણ જ્યાં અભયનાં સામ્રાજ્ય.
મિત્રોના પ્રતિભાવ